Monday, February 8, 2016

Sardar Patel : Ironman of india

સરદાર પટેલ નો જન્મદિન [૩૧ ઓકટોબર] ‘ રાષ્ટ્રીય એકતા દિવસ ‘ national unity day તરીકે ઉજવાયો  , અનેક સરકારી પ્રોગ્રામ જાહેર થયા, પણ સરદારે આ દેશની એકતા માટે એવો તે શું જાદુ કર્યો કે તેમને બીજા બધા નેતા ઓ કરતા સવાયું માન મળ્યું , ભારત ના લોખંડી પુરુષ કહેવાયા , ભારત ના બિસ્માર્ક કહેવાયા ??….
સરદાર પટેલ ની તો અનેક ઉપલબ્ધિઓ હતી, નાનપણ થી જ એમણે પોતાનું એક આગવું વ્યક્તિત્વ ઉભું કર્યું હતું. એક બાહોશ વકીલ, એક લોકલાડીલા સ્વાતંત્ર્ય સેનાની, એક સક્ષમ વહીવટકર્તા, ૧૯૪૬ થી ૧૯૫૦ સુધીના અરસા ના નુતન ભારત ના એક સૌથી સબળ નેતા , ભાગલા વખતે હિંદુ મુસ્લિમ રમખાણો ને કડક હાથે ડામનારા એક  મજબુત ગૃહ પ્રધાન, …
પણ આપણે તો વાત કરવી છે એ જ ૧૯૪૬-૧૯૫૦ દરમ્યાન ના એમના એક અભૂતપૂર્વ કાર્ય ની , આજના અખંડ ભારત નો નકશો કંડારવાની સરદાર પટેલ ની જહેમત ની…. ચાલો ઈતિહાસ ના એ પાનાઓ ને ફરીથી ખોલીએ…..
Iron man of India

સામાન્ય સમજ  મુજબ જયારે અંગ્રેજો એ ૧૫ august ૧૯૪૭માં આઝાદી આપી ત્યારે આજના સંપુર્ણ ભારત દેશ ને આઝાદી મળી હતી, ખરું ને??
ના, તદ્દન ખોટી વાત , અંગ્રેજો એ આઝાદી આપી હતી તો ફક્ત પોતાના કબ્ઝા હેઠળ ના સંયુક્ત પ્રાંત, મધ્ય પ્રાંત, મુંબઈ પ્રાંત, મદ્રાસ પ્રાંત વગેરે પ્રદેશો ને જ….
અંગ્રેજોએ રાજ રજવાડા ઉપરનું પોતાનું માત્ર વાલીપણું હટાવ્યું હતું. ભારત કે પાકિસ્તાન સાથે જોડાણ કરવા કે સ્વતંત્ર રહેવા માટે તે દેશી હકુમતો મુક્ત હતી. અને એ દેશી હકુમતો પણ કેવી અને કેટલી???
India Map

આ નકશા માં જે પીળા રંગ નો ભાગ દેખાય  છે,  તે આજના  આ ભારત (પાકિસ્તાન સિવાય ની) કહેવાતી ભૂમિ નો ૪૦% ભાગ એટલે કે ૧૨,૯૫,૦૦૦ ચોરસ કિલોમીટર નો પ્રદેશ , નાના મોટા મળીને કુલ ૫૫૪ રજવાડા ઓ નો બનેલો હતો . ભારત ની ૨૮% વસ્તી તેમની પ્રજા હતી. તેમની ફૌજો માં સૈનિકોની કુલ સંખ્યા ૭૫,૩૦૦ હતી. પ્રથમ ૧૫ રાજ્યો તો જગત ના કેટલાય સ્વંતંત્ર દેશો કરતા પણ વિશાળ હતા.
કહેવાનો મતલબ એ કે બ્રિટન રાજ રજવાડા ઓ ની બાબતમાં  conditions apply જેવી શરતો સાથે ભારત- પાકિસ્તાન ને સ્વાતંત્ર્ય આપી રહ્યું હતું.  એટલું સ્પષ્ટ છે કે સ્વ શાસિત એવા રજવાડા અને બ્રિટન શાસિત એવા શેષ ભારતીય પ્રદેશ નો ‘રાજકીય દરજ્જો ‘ એકમેક કરતા જુદો હતો . અને બીજી રીતે જોતા રજવાડા ઓ માં પણ એકબીજા સાથે કોઈ જ સમાનતા નહોતી. સૌથી મોટુ જમ્મુ કાશ્મીર રાજ્ય ૨,૨૨,૪૨૨ sq km નું, જયારે ૩૨૭ નાના રજવાડા ઓ નું કુલ ક્ષેત્રફળ માત્ર ૧૬,૦૦૦ sq km નું હતું. સૌથી નાનું રજવાડું એ કાઠીયાવાડ નું ‘વેજા નો નેસ‘ હતું. વસ્તી ૨૦૬ અને ક્ષેત્રફળ ૦.૭૫ sq km અને ‘રાજા’ ની વાર્ષિક આવક …..Rs. ૪૫૦ હતી. 
નકશા માં ન દેખાતી વાસ્તવિકતા એ હતી કે ઘણા જ દેશી રાજ્યો ના પ્રદેશો બ્રિટીશ ભારત માં હતા. દા.ત. ગોંડલ રાજ્ય ના ૧૮ પ્રદેશ તો જુનાગઢ રાજ્ય ના ૨૪ પ્રદેશ તે રાજ્યો ની મૂળભૂત સીમા ની બહાર ના વિસ્તારો માં હતા. સમગ્ર રીતે જોતા કાઠીયાવાડ ના ૨૮૨ રાજ્યો (હા.. ૨૮૨)નો વિસ્તાર જુદા જુદા ૮૬૦ પ્રદેશો માં વહેચાયેલો હતો.  સંપૂર્ણ ભારત નો નકશો એ જ પ્રમાણે થીગડા વાળા પેચ વર્ક જેવો હતો.
એટલે સીધું અને સ્પષ્ટ તાત્પર્ય એ છે કે એકાદ પણ અપવાદ વગર બધા જ ૫૫૪ રાજા – મહારાજા ઓ તેમના સદીઓ જુના રાજપાટ જતા કરે તો જ ભારત નામના અખંડ વન પીસ દેશ નું સર્જન શક્ય હતું. પણ પ્રશ્ન એ થાય કે એક અખંડ દેશ ના સર્જન માટે તેમને એવડો મોટો ભોગ શા માટે આપવો જોઈએ.??? ઘણા ખરા રાજવીઓ પરંપરાગત અને વારસાગત રીતે પોતાના રાજપાટ ભોગવવાને હક્કદાર હતા. સદીઓ પહેલા એ રજવાડા સ્થપાયા , એટલે જગતના આઝાદ દેશોની જેમ અધિકૃત બની ગયા હતા.  દા.ત. ઉદયપુર નું રાજ્ય ઈ.સ. ૭૩૪ માં (૧૨૦૦ વરસો પહેલા ) સ્થપાયું હતું.  તેમ જેસલમેર નું રાજ્ય  ઈ.સ.૧૧૫૬ માં સ્થપાયું હતું.
આ સ્થિતિ જોતા રાજવી ઓ ને ભારત માં તેમના પ્રદેશો ભેળવી દેવા સમજાવવા એ સહેલી વાત નહોતી. પોતાનું હિત સમજનારો માણસ તેના ઘરબાર કદી દાન માં ન આપે તો રાજવીઓ તેમના રાજપાટ શી રીતે આપી દે ??
રાજવીઓને તે માટે રાજી કરવાનું ગાંધીજી નું તો ગજું જ નહોતું. પંડિત નહેરુ પણ રાજાઓ  પ્રત્યેનો પોતાનો અણગમો જાહેર માં વ્યક્ત કર્યા વગર નહોતા રર્હી શક્યા. એટલે વિલીનીકરણ માટે રાજા-મહારાજાઓ સાથે મૈત્રીપૂર્ણ વાટાઘાટો ચલાવવાની કે તેમનો વિશ્વાસ જીતવાની ‘યોગ્યતા’ તેમણે ગુમાવી દીધી હતી. મુત્સદીગીરીની કે વ્યવહારકુશળતા ની દ્રષ્ટિ એ તો આવા કામ માટે તેઓ યોગ્ય વ્યક્તિ ન હતા. એકમાત્ર યોગ્ય વ્યક્તિ સરદાર પટેલ હતા. એટલે વાઇસરોય લોર્ડ માઉન્ટબેટને ૫૫૪ ‘સફરજનો ને ટોકરીમાં ખેરવી લેવાની’ ભગીરથ જવાબદારી તેમના ખભે નાખી.
સરદાર પટેલે દાખવેલી કુનેહ, દુરન્દેશી , આગવી કોઠાસૂઝ , મક્કમતા ને કારણે આ મહા મુશ્કેલ કામ પૂર્ણતાને પામ્યું. સૌ પ્રથમ તેમણે વી. પી. મેનન ને ગૃહ ખાતા ના ચીફ સેક્રેટરી તરીકે પોતાની સાથે લીધા. અને તેમની મદદ થી રાજા મહારાજા ઓ ને  સરકાર સાથે પ્રાથમિક વાતચીત માટે તૈયાર કર્યા. તેમણે અલગ અલગ સમયે રાજા મહારાજા ઓને અનૌપચારિક કે સામાજિક મેળાવડા ઓ માં કે પોતાના દિલ્હી ના નિવાસ સ્થાને ચા કે ભોજન માટે આમંત્રણ આપી ને વાતચીત આગળ ધપાવી. સરદાર પટેલે રાજાઓની દેશભક્તિ ને લલકારી ને ભારત સાથે ૧૫ august પહેલા ભળવા દબાણ કર્યું, રાજાઓને પોતાની પ્રજા પ્રત્યે ની જવાબદારી સમજાવી, તેમણે સ્વતંત્ર રહેવાના ગેરફાયદા વર્ણવ્યા. તેમ રાજા ઓને ફાયદો થાય તેવી શરતો બતાવી અને રાજા ઓના વારસદારો ને પણ ફાયદો થાય તેવી ‘પ્રીવી પર્સેસ’ ની યોજના પણ બતાવી. અને બીજી બાજુ જરૂર પડે તો લશ્કર નો ઉપયોગ કરવાની ગર્ભિત ધમકી પણ આપી.
આમ થોડાક જ મહીઓ ના સમય માં સરદાર પટેલે પોતાની ટીમ સાથે આખા ભારત માં જબરદસ્ત દોડધામ કરી અને અદભૂત રીતે ચાણક્ય ની સામ, દામ, દંડ ની નીતિ નો ઉપયોગ કરીને ૫૫૧  જેટલા  રજવાડા ઓને ભારત માં વિલીનીકરણ માટે મનાવી લીધા. હવે માત્ર ત્રણ રાજ્યો જમ્મુ-કાશ્મીર, જુનાગઢ અને હૈદરાબાદ ‘સરદાર ની  ટોકરી’ માં આવવાના બાકી રહ્યા.
જુનાગઢ નવાબે પોતાના વઝીર શાહનવાઝ ભુટ્ટો ની ચડામણી થી પાકિસ્તાન સાથે જોડાણ કરવાનું નક્કી કર્યું. પાકિસ્તાન ની મૂળ ભૂમિ કરતા જુનાગઢ દુર હતું , ઉપરાંત ૮૦% હિંદુ વસ્તી હતી છતાં પણ નવાબે આ દુસાહસ કર્યું. જવાબ માં પટેલે રાજકીય અને લશ્કરી બળ નો ઉપયોગ કર્યો. જુનાગઢ બહારના ૩ પ્રદેશો જીતી લીધા. જુનાગઢ માં પ્રજાનું આંદોલન (આરઝી હકુમત) શરુ કરાવ્યું. અને પછી લશ્કર અને પોલીસ ને જુનાગઢ પર કુચ કરવાનો હુકમ આપ્યો, પરિણામે નવાબ અને શાહનવાઝ ભુટ્ટો ને કરાચી ભાગી જવું પડ્યું. પાછળ થી જુનાગઢ માં પ્રજામત લેવામાં આવ્યો, તેમાં ૯૯.૫%  લોકો એ ભારત માં ભળવાની સંમતિ આપી.  (એક આડવાત, પાછળથી આ શાહનવાઝ ભુટ્ટો ના બે વારસદાર ‘ભારત દ્વેષી’ પુત્ર ઝુલ્ફીકાર અલી ભુટ્ટો અને પૌત્રી બેનઝીર ભુટ્ટો પાકિસ્તાન ના વડાપ્રધાન બન્યા.)
સરદાર પટેલ ને મન ભારત ના એકીકરણ માટે હૈદરાબાદ નું મહત્વ કાશ્મીર કરતા ય વધુ હતું. ૨૧૪,૦૦૦ ચો. કિમી. કરતાય વધુ ક્ષેત્રફળ ધરાવતા હૈદરાબાદ માં આજના આંધ્રપ્રદેશ, તેલંગાના, મહારાષ્ટ્ર અને કર્નાટકા ના મોટા ભાગ ના પ્રદેશ હતા. અપાર ખજાના નો માલિક નિઝામ ઉસ્માન અલી ખાન  દુનિયા નો સૌથી ધનિક વ્યક્તિ ગણાતો હતો( એની વાત  ફરી ક્યારેક…). ૮૦% ટકા હિંદુ વસ્તી હોવા છતાં નિઝામે પાકિસ્તાન સાથે જોડાણ કરવાનું અથવા સ્વતંત્ર રહેવાનું નક્કી કર્યું. નિઝામ ને વફાદાર મુસ્લિમ સૈનિકો જે  ‘રઝાકાર’ તરીકે ઓળખાતા હતા. તેમના સેનાપતિ કાસીમ રીઝવી એ નિઝામ ને ભારત વિરુદ્ધ ઉશ્કેર્યો અને રઝાકારો એ ભારતીય સીમા માં ભારતીય જનતા પર હુમલા શરુ કર્યા. સરદાર પટેલ ની અનિચ્છા છતાં લોર્ડ માઉન્ટબેટન ના દબાણ હેઠળ ભારતે હૈદરાબાદ સાથે ‘ના યુદ્ધ’ કરાર કર્યા. પણ નિઝામ કોઈ  રીતે માનવા તૈયાર ના હતો અને રઝાકારો ના હુમલા ચાલુ  જ રહ્યા. નિઝામે વિદેશો થી આધુનિક ફાઇટર પ્લેનો મંગાવ્યા. ત્યારે સપ્ટેમ્બર ૧૯૪૮ માં સરદારે કેબીનેટ  મીટીંગ માં હૈદરાબાદ સાથે વાતચીત બંધ કરવા જણાવ્યું. તેમણે  નહેરુ અને  ગવર્નર જનરલ રાજગોપાલાચારી ને હૈદરાબાદ પર લશ્કરી પગલા લેવા નું દબાણ કર્યું. નહેરુ એ હિંદુ મુસ્લિમ દંગા ના ડરથી  ઘણી જ આનાકાની કરી. પણ સરદાર પટેલ નો જવાબ હતો કે ‘ જો હૈદરાબાદ ને તેની મરજી મુજબ ચાલવા દેવા માં આવશે તો ભારત સરકાર ની પ્રતિષ્ઠા જોખમ માં મુકાશે અને પછી હિંદુ હોય કે મુસ્લિમ – કોઈ પણ સરકાર પર વિશ્વાસ રાખશે નહિ . ‘
અને  જયારે નહેરુ યુરોપ ની ટુર પર ગયા ત્યારે સમય ન ગુમાવતા સરદાર પટેલે કાર્યકારી વડાપ્રધાન ની હેસિયત થી લશ્કર ને હૈદરાબાદ પર કુચ કરવાનો હુકુમ આપ્યો. ‘ઓપરેશન પોલો’ હેઠળ હજારો રઝાકાર માર્યા ગયા અને બહુજ સહેલાઈથી હૈદરાબાદ ને ભારત માં ભેળવી દેવામાં આવ્યું.  નિઝામ ને હૈદરાબાદ પ્રાંત નો ગવર્નર બનાવવા માં આવ્યો અને વાટાઘાટો ને અંતે તેને ૫૦ લાખ નું વર્ષાસન બાંધી આપવા માં આવ્યું. 
અજાયબીભરી વાત તો એ હતી કે સરદાર પટેલ શરૂઆત માં કાશ્મીર ને ભારત માં ભેળવવા માટે બહુ ઉત્સુક ના હતા અને એના  કારણ ઘણા જ હતા. એક તો કાશ્મીર ની બહુમતી પ્રજા મુસ્લિમ હતી,  ઉપરાંત રાજા હરિસિંહ પણ સ્વતંત્ર રહેવાના પક્ષ માં હતા . સરદારે જુનાગઢ માં પણ જાહેર કર્યું હતું કે ‘ જો પાકિસ્તાન જુનાગઢ , હૈદરાબાદ વિષે સહકાર આપે તો ભારત પણ કાશ્મીર બાબત માં સહકાર આપશે.’  જયારે નહેરુ ને કાશ્મીર પ્રત્યે ઘણી જ મમત હતી , આ બાબત માં બને વચ્ચે મતભેદ હતા. પણ જયારે પાકિસ્તાને કબાઈલીઓ દ્વારા કાશ્મીર પર આક્રમણ કર્યું ત્યારે રાજા હરિસિંહ એ ભારત ની મદદ માગી. અને  એક કુશળ રાજનીતિજ્ઞ એવા  સરદારે સમય ના ગુમાવતા,  રાજા પાસે કાશ્મીર નું ભારત સાથે જોડાણ કરાવ્યું  અને તરત જ ભારતીય સેના મોકલાવી ને શ્રીનગર ને પાકિસ્તાન ના હાથ માં જતું બચાવ્યું. ભારતીય સેના બાકીનું કાશ્મીર ફરીથી કબજે કરવા તૈયાર હતી , ( એની વાત ફરી ક્યારેક…)
એવા સમયે અપરિપકવ વડાપ્રધાન નહેરુ એ સરદાર ની મનાઈ  છતાં યુનો પાસે મધ્યસ્થી કરાવી. અને LOC વાળી પેટ ચોળીને શુલ ઉભી કરી. જેનું નુકશાન આજે પણ આપણે ભોગવીએ છીએ , ૩ યુદ્ધ , જિહાદી-આતંકવાદી હુમલાઓ, અસંખ્ય જવાનો અને પ્રજા ની જાન હાની, અબજો ની મિલકત નું નુકશાન, અને હજી પણ ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ . આ બધું જ નહેરુ ની મૂર્ખતા (જેને શાંતિ ની નીતિ !!!!! કહેવાય છે) , શાંતિદૂત (નોબેલ ઇનામ માટે) બનવાની લાલસા ને આભારી છે. સામે પક્ષે આજની પરિસ્થિતિ જોતા સરદાર ની કાશ્મીર પ્રત્યે ની નીતિ સાચી હતી એ સ્પષ્ટપણે સમજાય છે. સરદાર ની દુરન્દેશી પ્રત્યે માન ઉપજ્યા વગર રહે નહિ.
હવે ભારત ના એકીકરણ માટે ઘણી જ મહત્વ ની નીવડેલી સરદાર ની  ‘પ્રીવી પર્સેસ’ (Privy purses & privilages) યોજના ની વાત કરીએ. દરેક રજવાડા ની પોતીકી મહેસુલી અને બીજી વાર્ષિક આવક હતી. માટે રાજપાટ ના બદલા માં રાજવીઓને વર્ષાસન(સાલીયાણા) બાંધી આપવા જરૂરી હતા. સામસામાં પક્ષે અનેક બેઠકો થયા બાદ એક ચોક્કસ ફોર્મુલા નક્કી કરવામાં આવી. તે મુજબ
  • ૧૧ મહારાજાઓ ને તેમના રાજ્યોની મબલખ વાર્ષિક આવક મુજબ ૧૧લાખ (ભોપાલ) થી ૫૦લાખ (હૈદરાબાદ) જેટલું વર્ષાસન બાંધી આપવામાં આવ્યું. તો
  • ૯૧ રાજવીઓને જેમના રાજ્યો ની આવક ૧૫ લાખ થી સવા કરોડ સુધી હતી તેમને ૧ લાખ થી ૧૦ લાખ જેટલું વર્ષાસન બાંધી આપવામાં આવ્યું.
  • ૫૬ રાજાઓને ૫૦ હજાર થી ૧ લાખ સુધીનું વર્ષાસન , તો ..
  • ૩૯૬ રાજાઓને ૫૦ હજાર થી પણ ઓછું વર્ષાસન નક્કી થયું , તેમાં કટોડીયા ના ‘રાજા’ ને માત્ર ૧૯૨ રૂપિયા નું વર્ષાસન મળ્યું.
કુલ મળીને રૂપિયા ૫ કરોડ ૮૦ લાખ નું વર્ષાસન નક્કી થયું , તે પણ યોજના ના નિયમ મુજબ રાજા ના વારસદારો ને ઉતરોતર ઘટતું જવાનું  હતું. આમ રતીભાર અતિશયોક્તિ વગર કહી શકાય કે ભારત સરકારે (સરદાર પટેલે) મગ ના ભાવે મરી નો સોદો કરી નાખ્યો હતો….કઈ રીતે એ જુઓ..
  • ૧૯૪૭-૪૮ ના સમય માં દેશી રજવાડા ઓ ની કુલ વાર્ષિક આવક ૭૦ કરોડ જેટલી હતી , તેની સામે ભારત સરકારે રૂપિયા ૫.૮૦ કરોડ વર્ષાસન ના આપવાના થતા હતા , તે રકમ પણ સતત ઘટતી રહેવાની હતી. ૧૯૭૧ માં વર્ષાસન ની રકમ રૂપિયા ૪.૬૦ કરોડ થઇ ગઈ હતી.
  • વિલીનીકરણ વખતે રજવાડા ઓનું કેશ બેલેન્સ  અને મૂડીરોકાણ મળીને રૂપિયા ૭૭ કરોડ જેટલું હતું જે ભારત સરકાર ની તિજોરી માં આવ્યું.
  • રજવાડા ઓનું કુલ ૧૯,૨૦૦ km નું રેલ્વે નેટ વર્ક  સરકારી રેલ્વે માં ઉમેરાયું. જેનું મુલ્ય પણ સહેજે કરોડો માં ગણાય.
  • ભાગલા ને કારણે પાકિસ્તાન માં ૯,૪૫,૦૦૦ sq. km. નો પ્રદેશ ગયો તો સામે પક્ષે વિલીનીકરણ થી રજવાડા ઓ નો ૧૨,૯૫,૦૦૦ sq. km. પ્રદેશ ભારત માં ભળ્યો. આમ લગભગ  ૩,૫૦,૦૦૦ sq. km. નો પ્રદેશ વધારાનો મળ્યો. આ પ્રદેશ માં આવેલા ખેતરો , નદીઓ, રસ્તા કે ખનીજ સંપતિ વગેરે તો અમૂલ્ય જ ગણાય ને ??
  • દેશી રાજ્યો ના લશ્કરો માં આવેલા ૭૫,૩૦૦ સૈનિકો પોતાના શસ્ત્રો સહીત ભારતીય સેના માં સામેલ થયા.
સરદાર પટેલે પોતાની આગવી કુનેહ અને પટુતા થી ભારત નું એકીકરણ કર્યું , આજના ભારત નો નકશો સરદાર ને આભારી છે. તે ઉપરાંત તેમણે નબળી અર્થ વ્યવસ્થા ધરાવનારી નુતન ભારત ની સરકાર ને રજવાડા ઓની આવક થી સધ્ધર બનાવી તે ફાળો નાનો સુનો નથી. સાચા અર્થ માં ભારત મા ના સપૂત  Ironman of India (ભારત ના લોખંડી પુરુષ) કહેવાતા સરદાર ને તેમના મૃત્યુ પછી ઈરાદાપૂર્વક ભુલાવી દેવામાં આવ્યા. ૧૮૬૦ ના અરસા માં જર્મની ના એકીકરણ માટે ઓટો વાન બિસ્માર્ક જે કર્યું હતું તેના કરતા અનેક ઘણું મોટું અને મહામુશ્કેલ કાર્ય ૧૯૪૬-૫૦ ના વરસો માં સરદાર પટેલે કર્યું હતું પણ પાછળ થી આવેલી સરકારો એ તેમની એ જહેમત ભુલાવી દેવાની નીતિ અપનાવી.
અને હવે આટલા વરસે આજના ભારત ની પરિસ્થિતિ જોતા ફરીથી સરદાર ની કામગીરી મૂલવવાનો સમય આવ્યો છે. અને એટલે જ અહી તેમના કાર્ય ને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે…. ઈતિહાસ ના  એ ઢંકાયેલા પાના ખોલીને…
સરદાર ના મૃત્યુ્ના વીસ વર્ષ ની અંદર જ રાજવીઓ સાથે સરદારે  કરેલા કરાર નો ત્યારની ભારત સરકાર દ્વારા  વચન ભંગ કરવામાં આવ્યો. કેમ??  કેવી રીતે ?
જાણીશું ફરી ક્યારેક…
Refrences : Wikipedia website, 
            Safari magazine (issue 241),
            Integration of Indian states (V P Menon)